હોળીનાં દિવસે પોસ્ટ કરવા ધારેલો આ લેખ થોડો મોડો પોસ્ટ કરી રહ્યો છું. હોળી નિમિત્તે એટલા માટે કારણ કે આ વખતનાં લેખમાં રંગોની વાત છે. તે પણ પોલીસ સ્ટેશનો અને તેનાં મફતમાં રંગી અપાતાં પાટીયાં પર જોવા મળતાં બે રંગ - લાલ અને વાદળીની. આ બે રંગ હોય ત્યાં થોડી ખાખીની વાત પણ સ્વાભાવિક રીતે થાય જ. થોડા સમય પહેલાં કંઇક એવું બન્યું કે આ લેખ-બે રંગ પર લખવાની પ્રેરણા મળી.
***
અમદાવાદમાં વસતા લોકોને ખબર જ હશે કે ગુન્હાનાં સ્થળ પર પોલીસ ઝડપથી પહોંચી શકે તે માટે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પીસીઆર વાન (પોલીસ કન્ટ્રોલ રૂમ વાન) મૂકવામાં આવી છે. પોલીસ સ્ટેસનદીઠ એકાદ વાનથી શરૂ કરાઇને તબક્કાવાર તેમાં વધારો કરવામાં આવ્યો હતો. જેનાં ભાગરૂપે થોડા સમય પહેલા જ પીસીઆર વાનનો નવો જથ્થો આવ્યો હતો.
આ જથ્થાને જે-તે પોલીસ સ્ટેશનમાં ફાળવી અપાયો હતો. નવી વાન સંપૂર્ણ સફેદ રંગની હતી. જોકે અમુક સમય બાદ અચાનક જ આ વાનોની ઉપર ઠેક-ઠેકાણે પોલીસનાં ડરનાં પ્રતિક બની ગયેલા લાલ-વાદળી રંગનાં ડીઝાઇનર પટ્ટા જોવા મળ્યાં. પીસીઆર વાન પર આ બે રંગ જોયા પછી સાચું કહું તો અમુક અંશે અનઇઝીનેસની ફીલ થઇ. આ લાગણીએ બે રંગ વિશે અને તેને લગતી કેટલીય વાતો યાદ કરાવી દીધી.
***
સૌથી પહેલો વિચાર આવ્યો કે, પોલીસ સાથે કેટલીય વખત પનારો પડતો હોવા છતાં આપણને આ બે રંગ પરેશાન કરી શકતાં હોય તો સામાન્ય નાગરિકને તો તેનો કેટલો બધો ડર હશે. હું કોલેજિયન તરીકે આજથી દશ વર્ષ પહેલાં અમદાવાદનાં 'ખૂન કેપિટલ' ગણાતાં વિસ્તાર અમરાઇવાડીનાં પોલીસ સ્ટેશનમાં ગયો હતો ત્યારે આ બે રંગ જ હતાં કે જેને જોઇને મને ડર લાગ્યો હતો. જીવનમાં પ્રથમ વખત પોલીસ સ્ટેશનમાં ગયાનો રોમાંચ હતો. કંઇક ધાડ મારીને આવ્યો હોવું તેમ કેટલાયને કહ્યું હતું કે મેં આજે પહેલી વખત પોલીસ સ્ટેશન જોયું. કારણ એક જ હતું કે - આ સ્થળે જવામાં બધાને ડર લાગે છે. એ ડર વર્ષોથી પોલીસનાં પર્યાય બનેલા લાલ-વાદળી અને અફકોર્સ ખાખી રંગનો જ હોય છે.
વિષયાંતર ન કરતાં લાલ અને વાદળી પર પાછો ફરું. અમદાવાદમાં નવા પોલીસ સ્ટેશનોને સફેદ રંગે રંગાયા છે. નવા પો.સ્ટે.માં જતી વખતે તમને એટલો ડર કે અજંપો નહીં લાગે જેટલાં લાલ-વાદળી રંગનાં પો.સ્ટે.માં જતાં. આ વાતને પાકી કરવા માટે આ લેખ સાથે બંને રંગ ધરાવતાં પોલીસ સ્ટેશનનાં ફોટો મૂક્યા છે. તમને પણ લાલ-વાદળી રંગ વાગ્યા વગર રહેશે નહીં.
નરોડા પોલીસ સ્ટેશન ( (અમદાવાદ) - લાલ અને વાદળી રંગે વર્ષોથી પ્રજાનાં મનમાં ડરને સ્થાન આપ્યું છે |
સેટેલાઇટ પોલીસ સ્ટેશન (અમદાવાદ) - પેલા બે રંગ ન હોવાથી નાગરિકની પો.સ્ટે.માં જવાની હિંમત વધશે |
આ બંને રંગોનો ટેરર હવે પોલીસ સ્ટેશનની બહાર નીકળીને રસ્તા પર ફરવા લાગ્યો છે. આ ટેરર તમને ગમે ત્યાં મળી જાય. ના ના, હું ફરી પીસીઆર વાનની વાત નથી કરતો પરંતુ શહેરીજનોનાં વાહનોની વાત કરું છું. એ વાહનો જેની આગળ અને પાછલ લાલ-વાદળી રંગનાં પટ્ટાથી નાગરિકોને ડરાવવાની કોશિશ થાય છે. પોલીસ હોય કે ન હોય, લોકો આ બંને રંગનો છૂટથી ઉપયોગ કરી રહ્યાં છે. દેખીતી રીતે તે ઉપયોગ લોકોને ડરાવવા માટે જ થઇ રહ્યો છે.
વાહનો પર આ બંને રંગો લગાવીને લોકોને ડરાવાય છે |
રંગો વિશેનાં આ વિચારો ઘણા દિવસ ચાલ્યા. પાંચેક વર્ષ પહેલાં ગોવા ફરવા ગયો હતો ત્યારનો કિસ્સો પણ રંગોની આ વાતમાં જોડાયો. ચાર દિવસ ગોવા રહ્યાં હતાં તે દરમિયાન સૌથી વધુ વાત અમે એ કરી હતી કે બીચ પર આટલા બધા ટુરીસ્ટ્સ છતાં ભાગ્યે જ ક્યાંક પોલીસ દેખાય છે, અને તે વિચારનાં સથવારે જ અમે ખાસા રીલેક્સ થઇને ગોવા માણી શક્યા હતા. એક દિવસ અમે કોઇ બીચ પર નાહવાની મજા માણી રહ્યા હતાં ત્યારે અમુક ટુરીસ્ટ્સ વચ્ચે ઝગડો થયો. અમારા આશ્ચર્ય વચ્ચે ઝગડાનાં સ્થળથી અમુક મીટરનાં અંતરે જ ઉભેલા અને ટુરીસ્ટ્સ જણાતાં બે ભાઇઓ પોતે પોલીસ છે તેમ કહીને પ્રગટ થઇ ગયા. તેમણે ઝગડો શાંત પાડી દીધો. ઝગડાએ જેવું ઉગ્ર સ્વરૂપ લીધે કે તરત જ તે બંને ભાઇઓ સિટીઓ મારતાં ઘટનાસ્થળે આવી ચડ્યાં હતાં અને હનુમાનજીની જેમ છાતી ચીરતાં હોય તેમ પોતાનાં શર્ટ ખોલીને અંદરથી વર્દીને ડોકાવી હતી. ઝગડો પૂરો થયો અને બધા પોતાનાં કામમાં પરોવાયા. આ કિસ્સો કહેવાનો અર્થ એ છે કે જો પોલીસ પોતાનાં 'રંગ' સાથે ત્યાં હાજર હોય તો ટુરીસ્ટ્સને જે મજા લેવી હોય તે ન લઇ શકે તે ગોવા પોલીસને ખબર હશે. અહીં કોઇ એવી દલીલ પણ કરી શકે છે કે, જો પોલીસ વર્દીમાં હોત તો પેલા લોકોએ ઝગડો કર્યો જ ન હોત. જોકે તેનો જવાબ એ છે કે પોલીસ વર્દીમાં હોય તો ટુરીસ્ટ્સને ચિંતામુક્ત થઇને ફરવું હોય તો ન ફરી શકે. એકાદ ઝગડા માટે તેઓ વર્દી પહેરીને હજારો ટુરીસ્ટ્સને ટેન્શનમાં શા માટે નાંખે?
વધુ એક કિસ્સો એ પણ યાદ આવ્યો કે ચારેક વર્ષ અગાઉ સુરેન્દ્રનગરમાં સુપ્રિ. ઓફ પોલીસે પણ પોલીસની વર્દી અને અન્ય રંગો બદલવાનાં પ્રયત્નો કર્યા હતાં. આ વિશે તપાસ કરતાં બીજી વિગત એ જાણવા મળી કે પાંચેક વર્ષ અગાઉ ગુજરાત પોલીસે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઇનને પોલીસ અને ટ્રાફિક પોલીસનાં યુનિફોર્મને નવેસરથી બનાવવા આપ્યા હતાં. જેમાં રંગો બદલાવાની વાત જ હતી.
લાગતું નથી કે આ રંગો હવે બદલાય તો સારું? (તસવીર સૌજન્યઃ digantart.com) |
નવી ભરતી થયેલા કેટલાય કોન્સ્ટેબલોને ખાખી રંગની શરમ આવતી હોવાથી તેઓ ઉપર બીજો શર્ટ પહેરીને ફરજ પર આવે છે અને ફરજ પત્યા પછી તે શર્ટ પાછો પહેરી લે છે તેવું પણ જોવા મળ્યું છે.
લેખ વાંચીને કેટલાય લોકો દલીલ કરશે કે માત્ર રંગ બદલવાથી પોલીસ બદલાઇ ન જાય... તેમની તો માનસિકતા બદલાવી જોઇએ..... નવો રંગ આવ્યાનાં થોડા સમય પછી તે લોકો નવા રંગથી ડરાવશે... નાગરિકોની માનસિકતા પણ બદલાવી જોઇએ વગેરે...
સાચું કહું તો, આ રંગોનો ડર માત્ર અને માત્ર સામાન્ય નાગરિકને જ છે. આ રંગોને સરેન્ડર થઇ જતાં ગુનેગારો પાસેથી પોલીસ નિયમિત હપ્તા લે છે અને સરેન્ડર ન થતાં લોકો પોલીસને ગાંઠ્યા વગર પોતાનાં ગુના કર્યે જાય છે. છેલ્લે બચ્યા કોણ, તમે અને હું?